વલસાડ, તા. ૨૪ ડિસેમ્બર
સુશાસન (Good Governance) એટલે પ્રજાનું કલ્યાણ થાય તે માટે કરવામાં આવતું લોકહિતાર્થનું કામ. જેને ખરા અર્થમાં ચરિતાર્થ કરતા ભૂતપૂર્વ વડાપ્રધાનશ્રી અટલબિહારી વાજપેયીની ૧૦૦ મી જન્મજયંતી નિમિત્તે ૨૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ સુશાસન દિવસની ‘‘અટલ નેતૃત્વ, અવિરત વિકાસ’’ ની થીમ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મહેસુલી વિભાગમાં મુખ્યમંત્રીશ્રીનો ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ (State Wide Attention Grievance by Application of Technology- SWAGAT) આજે અનેક લોકો માટે તારણહાર બની રહ્યો છે.
સ્થાનિક કક્ષાએ જે પ્રશ્નો ઉકેલાતા ન હોય તે સીધા મુખ્યમંત્રીશ્રીના દરબારમાં સ્વાગત કાર્યક્રમ હેઠળ પહોંચે છે અને ખુદ મુખ્યમંત્રીશ્રી પોતે રાજ્યના નાગરિકોની સમસ્યા સાંભળી તેનો ઉકેલ લાવવાનો આત્મીયતાભર્યો અભિગમ અપનાવે છે ત્યારે ન્યાય મેળવનાર અરજદાર હકીકતમાં રાજ્ય સરકારનો નતમસ્તકથી અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરે છે. આવા જ એક અરજદાર છે વલસાડ જિલ્લાના વાપીના નિમેષભાઈ પટેલ. ન્યાય મેળવવા માટે તેમણે કરેલી મહેનત અને સ્વાગત કાર્યક્રમમાં મળેલી સફળતાની કહાની તેમના દ્વારા જ જાણીએ.
@thevoicenewsbharat
વાપીના છરવાડા ખાતે અમીઝરા એપાર્ટમેન્ટમાં રહેતા નિમેષભાઈ બી. પટેલ વાપી જીઆઈડીસીમાં પ્લોટ નં. ૨૦૯માં ગીરનાર ખુશ્બુ પ્લાઝા કોમર્શિયલ કો.ઓ.હા.સર્વિસ સોસાયટી પ્રોપર્ટીના પ્રેસિડેન્ટ છે. તેઓ જણાવે છે કે, આ પ્રોપર્ટીને ઉદ્યોગથી વ્યાપાર ઉપયોગમાં ફેરફાર કરવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે તા. ૨૦/૦૮/૨૦૦૯ના રોજ પ્રાથમિક ટ્રાન્સફર ઓર્ડર વાપીની જીઆઈડીસી કચેરી દ્વારા આપવામાં આવ્યો હતો. તા. ૩૦/૦૬/૨૦૧૧ના રોજ અંતિમ ટ્રાન્સફર ઓર્ડર આપવામાં આવ્યો અને જીઆઈડીસી દ્વારા તા. ૨૧/૦૯/૨૦૧૧ના રોજ બિલ્ડિંગ પ્લાન મંજૂર કરવામાં આવ્યો હતો. તા. ૦૪/૧૨/૨૦૧૩ના રોજ બિલ્ડિંગ પૂર્ણતા પ્રમાણપત્ર આપવામાં આવ્યુ હતું. ત્યારબાદ વર્ષ ૨૦૧૩ થી ૨૦૨૪ દરમિયાન ડેવલપર્સ દ્વારા ૨૦૮ જેટલી દુકાનોનું વેચાણ કરવામાં આવ્યું અને દુકાનદાર- વેપારીઓએ પોતાના ધંધા રોજગાર શરૂ કરવા માંડ્યા હતા. વર્ષ ૨૦૧૯માં ૨૦૮ ખરીદદારોએ સોસાયટીનું નિર્માણ કરી તબદીલ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જે માટે વર્ષ ૨૦૨૩માં તબદીલ માટે પ્રથમવાર અરજી કરી હતી જે જીઆઈડીસીએ કોઈ સ્પષ્ટ કારણ વગર નામંજૂર કરી હતી.
@thevoicenewsbharat
ત્યારબાદ વર્ષ ૨૦૨૪માં બીજી વાર ટ્રાન્સફર અરજી કરી હતી જે ફેબ્રુઆરી ૨૦૨૫માં તમારી પ્રોપર્ટી નીતિ નિયમો સાથે સુસંગત નથી એવુ કારણ આપી અરજી રદ કરી હતી. જેથી જીઆઈડીસીના વી.સી.એમ.ડી. (મુખ્ય અધિકારી)ને રજૂઆત કરી કે, આ અમારી કોમર્શીયલ પ્રોપર્ટી છે. ફાઈનલ ઓર્ડર આપની જીઆઈડીસી કચેરી દ્વારા જ આપવામાં આવ્યો હતો તે અંતર્ગત કરેલી કાર્યવાહીના પુરાવા રજૂ કર્યા હતા તેમ છતાં જીઆઈડીસીએ ફાઈનલ ટ્રાન્સફર ઓર્ડરને નકાર્યો હતો. જેથી ૨૦૮ જેટલા દુકાનદારોમાં ચિંતા મુકાયા હતા કે, ધંધો રોજગાર કેવી રીતે કરીશું. જે દુકાનદારોએ રોકાણ કર્યુ હતું તે લોકો પણ મૂંઝવણમાં મુકાયા હતા. અમે બધા હતાશામાં મુકાયા હતા ત્યારે મારા એક મિત્ર કૌશિક પટેલે મુખ્યમંત્રીશ્રીના સ્વાગત કાર્યક્રમની જાણ કરી હતી. તા. ૨૪/૦૭/૨૦૨૫ના રોજ અમે સીધા રાજ્યના મુખ્યમંત્રીશ્રીને સ્વાગત કાર્યક્રમ હેઠળ રજૂઆત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ અમારી રજૂઆતોને સાંભળી જીઆઈડીસીના ઉચ્ચ અધિકારીઓને બોલાવી તટસ્થ નિર્ણય આપતા જણાવ્યું કે, ફાઈનલ ટ્રાન્સફર ઓર્ડર જીઆઈડીસીના અધિકારી દ્વારા જ આપવામાં આવ્યો છે અને આ કોમર્શીયલ પ્રોપર્ટી છે તેને માન્ય રાખો. જે સંદર્ભે જીઆઈડીસી દ્વારા પ્રોવિઝનલ ઓર્ડર આપતા જે ફી ભરવાની હતી તે પણ ભરી દેતા સોસાયટીના તમામ સભાસદોને રાહત થઈ છે. મુખ્યમંત્રીશ્રીનો આ સ્વાગત કાર્યક્રમ નાગરિકો સાથે થયેલા અન્યાય સામે ન્યાય અપાવનાર સુદઢ વ્યવસ્થા છે. આ ક્રાંતિકારી કાર્યક્રમ નાગરિકોને સીધા મુખ્યમંત્રીશ્રી સાથે જોડે છે. ૨૦૮ દુકાનદારો અને સોસાયટીના સભાસદો મુખ્યમંત્રીશ્રીનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.
