વલસાડ, તા. ૨૪ ડિસેમ્બર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અમલમાં મુકાયેલી ‘‘કિસાન સૂર્યોદય યોજના’’ ગુજરાતના ખેતી ક્ષેત્રમાં એક ઐતિહાસિક અને ક્રાંતિકારી પહેલ સાબિત થઈ છે. આ યોજના ખેડૂતોના જીવનમાં અંધારા ઉલેચી ઉજાસ પાથરતી યોજના તરીકે ઓળખાઈ છે અને ગુજરાતના ખેડૂતો માટે વિકાસનો નવો સૂર્યોદય બની છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને રાત્રિના બદલે દિવસ દરમિયાન સિંચાઈ માટે વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવાનો છે, જેથી ખેતીની કામગીરી વધુ સુરક્ષિત, સરળ અને ઉત્પાદક બની શકે. કિસાન સૂર્યોદય યોજનાથી ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળતા પોતાના ખેતરમાં યોગ્ય સિંચાઈ અને ખેતી સંબંધિત કામગીરી કરવા માટે સક્ષમ બનાવે છે, જે તેમની ઉત્પાદન ક્ષમતા અને આવક બંને માટે અત્યંત લાભદાયક છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા ત્યારથી જ તેમણે ઊર્જા ક્ષેત્રે અનેક ખેડૂતલક્ષી નિર્ણયો લઈ ખેડૂતોની આવક બમણી થાય તે માટે વિકાસ યાત્રા શરૂ કરી હતી. આ પથ પર આગળ વધી ખેડૂતોના ઉત્કર્ષ માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની રાહબરી હેઠળ મિશન મોડમાં કામગીરી કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ બની છે. જેમાં મહત્વપૂર્ણ ભાગ ભજવતી ‘કિસાન સૂર્યોદય યોજના’થી ખેડૂત મિત્રોના જીવનમાં આનંદની રોશની ફેલાઈ છે.

ખેડૂતોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમલમાં મુકાયેલી આ યોજનાની અસર ગુજરાતભરમાં જોવા મળી રહી છે, જેમાં વલસાડ જિલ્લામાં ૨૯૬૩૦ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. એક સમયે ખેડૂતોને સિંચાઈ માટે રાત્રે અંધારામાં ખેતરે જવું ખૂબ મુશ્કેલીભર્યું રહેતું હતું. રાત્રે જંગલી જાનવરો તેમજ સાપ, જીવ-જંતુનું પણ જોખમ રહેતુ હતુ. જેથી ધરતીપુત્રોની આ તકલીફને ધ્યાને લેતા રાજ્યની સંવેદનશીલ સરકારે જગતના તાતની મુશ્કેલીનો હલ લાવી તેઓને દિવસે વીજળી આપવાનો નિર્ણય કર્યો હતો.
વર્ષ ૨૦૨૦માં “કિસાન સૂર્યોદય યોજના” અમલમાં મૂકવામાં આવી હતી. જેમાં ખેડૂતોને દિવસે સાતત્યપૂર્વક વીજળી મળી રહે છે. જેના માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. પરિણામે ખેડૂત દિવસે કામ કરી રાતે નિરાંતની મીઠી નીંદર માણી શકે છે. આમ, જોઈએ તો ખરા અર્થમાં “દિવસે કામ અને રાત્રે આરામ” સૂત્ર સાર્થક થયુ છે.

ખેડૂતોને વીજળીમાં સબસીડી પણ આપવામાં આવે છેઃ અધિક્ષક ઈજનેર
દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વલસાડ સર્કલના અધિક્ષક ઈજનેરશ્રી ડી.સી.માહલાએ દિવસ દરમ્યાન વીજળી આપવાથી ખેડૂતોને થયેલા ફાયદા અંગે જણાવ્યું કે, દિવસના પ્રકાશમાં પંપ ચલાવવું અને ખેતી કામ કરવું વધુ સરળ અને સુવિધાજનક બન્યું છે. દિવસ દરમિયાન સ્થિર અને નિયમિત વીજળી મળતાં પંપ સેટ યોગ્ય રીતે ચાલી શકે છે. ખેડૂતોને વીજળીમાં સબસિડી પણ આપવામાં આવે છે, માત્ર ૬૦ પૈસામાં પર યુનિટ વીજળી આપવામાં આવે છે.
રાત્રિના સમયે દીપડા, ભૂંડ, સાપ અને વિચ્છુનો ભય દૂર થયોઃ ખેડૂત
પારડી તાલુકાનાં વાઘછીપા ગામના ખેડૂત શ્રી દીપકભાઈ રામભાઈ પટેલ જણાવે છે કે, પહેલા રાત્રે વીજળી મળતી ત્યારે ખેતરમાં જવા માટે ડર અનુભવાતો હતો, બેટરી અને લાકડી સહિતના સાધનો લઈ જવુ પડતુ હતુ અને જીવનું જોખમ તેમજ ઉજાગરા પણ થતા હતા. રાજ્ય સરકારે દિવસે વીજળી આપવાનું શરૂ કરતા રાત્રે ખેતી કામ માટે જવાનું ટળતાં અકસ્માતો અને જંગલી જાનવર દીપડા, ભૂંડ, સાપ અને વિચ્છુ વગેરેનો ભય દૂર થયો છે. રાત્રે ખેતરમાં પાણી પીવડાવવા જવાની જરૂરત ના રહેતા અને રાત્રિના ઉજાગરા મટી જવાથી પરિવાર રાત્રે શાંતિથી ઉંઘી શકે છે, જેથી આરોગ્ય ઉપર પણ સકારાત્મક અસર પડી છે. દિવસ દરમિયાન સમયસર સિંચાઈ થવાથી મજૂરી ખર્ચમાં ઘટાડો અને પાકની ઉપજમાં પણ સુધારો થયો છે.